અરવલ્લી જશે તો અમદાવાદ પર આવશે મોટી આફત! સાબરમતી નદીનું પાણી સૂકાઈ જશે! – પર્યાવરણ વિદ્દ મહેશ પંડ્યા

By: nationgujarat
23 Dec, 2025

અરવલ્લીની ગીરીમાળાઓના રક્ષણની મુહિમ હવે ગુજરાતમાં પણ શરૂ થઈ ગઈ છે. ઉત્તર ગુજરાતમાં ઉઠેલા વિરોધમાં અમદાવાદ અને ગાંધીનગરના લોકોને પણ જોડાવા માટે અપીલ કરવામાં આવી રહ્યું છે. તેનું મોટું કારણ સાબરમતી નદી છે. સાબરમતી સહિતની અનેક નદીઓ થકી અમદાવાદ-ગાંધીનગરને પાણી મળી રહ્યુ છે. જો અરવલ્લી જશે તો સાબરમતી પણ સૂકાઈ જશે. ત્યારે અરવલ્લી અને સાબરમતી વચ્ચે શું છે કનેક્શન તે જાણીએ.

સાબરમતી અને મેશ્વો ડેમના પાણી ખાલી થઈ જશે 
અરવલ્લીની ગીરીમાળા અંગે પર્યાવરણ વિદ્દ મહેશ પંડ્યા કહે છે કે, સાબરમતી અને મેશ્વો નદીનું ઉદગમ સ્થાન અરવલ્લીની ગીરીમાળા છે. જો અરવલ્લીનો વિનાશ થાય તો નદીમાં પાણીની આવક નહિ થાય. બંને નદી પર રહેલા ડેમ ખાલી થઈ જશે. પાણીનો સ્ત્રોત સંપુર્ણ બંધ થઈ જશે. હાલ ગુજરાતના 58 તાલુકા ડાર્ક ઝોનમાં છે. જેનો મોટો વિસ્તાર ઉત્તર ગુજરાત છે. અરવલ્લી એ ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠામાં અરવલ્લીની ગીરીમાળાની તળેટીમાં રહેતા લોકોની જીવાદોરી છે. પર્વતની તીરાડમાં ભરાતા વરસાદના પાણીથી કુદરતી તળાવ સર્જાય છે. આ તળાવોથી પીવા માટે, ખેતી માટે અને પશુપાલન માટે પાણી મળે છે.

અરવલ્લી નહિ રહે તો રણની રેતી જિલ્લાઓમાં આવી જશે 
પર્યાવરણ વિદ્દ મહેશ પંડ્યા આગળ કહે છે કે, અરવલ્લીની ગિરિમાળમાં રક્ષક દિવાલનું કામ કરે છે. જો ગિરિમાળા ઉંચાઈ ઘટી જાય તો રણની રેતી ગુજરાતમાં આવવાની શરૂ થઈ જશે. રણની રેતી ગુજરાતમાં આવે તો બનાસકાંઠા અને સાબરકાંઠાની ફળદ્રુપ જમીનને મોટી અસર થશે. હાલ અરવલ્લી પર્વતમાળા ગુજરાતમાં આવતા ગરમ પવનો રોકવામાં અસરકાર છે.

અરવલ્લીની ગિરિમાળાઓ પર્વતીય કે રમણીય કરતા ભૌગોલિક આગવું મહત્વ છે. જો પર્વતો નહી હોય તો પાણી અને સ્થળાંતરનો પ્રશ્નો ઉદભવશે. રાજસ્થાનમાં અનેક ઘણું નુકશાન થશે, પણ ગુજરાતમાં પણ મોટું નુકશાન થશે. જો પર્વતો ઘસાય તો મોટી ભીતિ સર્જાઈ શકે છે. 100 મીટર વ્યાખ્યા જોતા 80 ટકા પર્વતો અસર વર્તાય તેવું લાગી રહ્યું છે.

હવે જંગલી પ્રાણીઓની વાત કરીએ તો, માઈનિંગ થાય તો પ્રાણીઓ માનવ વસ્તી તરફ આગળ આવે તેવી ભીતિ પણ વધારે છે. પર્વતમાળામાં રહેતા પ્રાણીઓ શહેરોમાં માનવ વસાહતોમાં આવ જશે.

સ્થાનિકોએ કર્યો વિરોધ 
સાબરકાંઠાના વિજયનગરમાં અરવલ્લી ગીરીમાળાના વિવાદ અંગે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો. તેઓએ કહ્યું કે, આધ્યાત્મિક, સામાજિક તેમજ આર્થિક રીતે પહાડો અમારી ધરોહર છે. 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવનારા પહાડો દૂર થશે તો અમારું અસ્તિત્વ જોખમાશે. તેથી તેના નિર્ણય અંગે ફેર વિચારણા કરવામાં આવે તેવી સ્થાનિકોની રજૂઆત છે. અરવલ્લીની ગીરીમાળાઓ કપાશે તો ઉત્તર ગુજરાતમાં રણપ્રદેશ જેવો માહોલ સર્જાશે. નિર્ણય પરત નહીં લેવાય તો મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરશે. સ્થાનિકોએ એકઠા થઈ લાગણી વ્યક્ત કરી.


Related Posts

Load more